ઈન્દિરા એકાદશીનું વ્રત કરવાથી 7 પેઢીના પિતૃઓનો ઉદ્ધાર થશે

By: nationgujarat
09 Oct, 2023

ઈન્દિરા એકાદશી એ ભાદરવા મહિનાના વદ પક્ષની એકાદશી કહેવાય છે. હિન્દુ ધર્મમાં તેનું ઘણું મહત્વ છે. પિતૃપક્ષમાં આવદી ઈન્દિરા એકાદશી ભટકતા પૂર્વજોને ગતિ આપે છે. આ એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિની સાત પેઢી સુધીના પિતૃઓનો ઉદ્ધાર અર્થાત્ મુક્તિ થઈ જાય છે. આ વખતે ઈન્દિરા એકાદશી 10 ઓક્ટોબર, મંગળવારના રોજ આવે છે. એવી માન્યતા છે કે આ એકાદશીનું વ્રત કરવાથી વ્રત કરનારને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે અને વ્યક્તિ જન્મ-મરણના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. પિતૃ પક્ષની એકાદશી ખૂબ જ વિશેષ છે, આ દિવસે કેટલાક વિશેષ કાર્ય કરવાથી 7 પેઢીના પિતૃઓ સંતુષ્ટ થાય છે. ઘરમાં ક્યારેય પૈસા, ભોજન કે સુખ-સમૃદ્ધિની ખોટ પડતી નથી.

ઈન્દિરા એકાદશીની ખાસ વાત એ છે કે તે પિતૃપક્ષમાં આવે છે. તેથી તેનું મહત્વ વધે છે. શાસ્ત્રો અનુસાર જો કોઈ આ એકાદશીનું વ્રત કરે અને તેનું પુણ્ય પિતૃઓના નામે દાન કરે તો તેને મોક્ષ મળે છે અને વ્રત કરનારને વૈકુંઠની પ્રાપ્તિ થાય છે.

પદ્મપુરાણ અનુસાર આ એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિની સાત પેઢી સુધીના પૂર્વજોના નામે યજ્ઞ કરવામાં આવે છે. આ એકાદશીનું વ્રત કરનારને પણ મોક્ષની પ્રાપ્તિ થાય છે. ઇન્દિરા એકાદશીનું વ્રત રાખવાથી અને ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરવાથી વ્યક્તિ વૈકુંઠ ધામની પ્રાપ્તિ કરે છે.

પુરાણોમાં કહેવાયું છે કે ઈન્દિરા એકાદશીનું વ્રત કરવાથી કન્યાદાન જેટલું પુણ્ય, હજારો વર્ષની તપસ્યા અને તેનાથી પણ વધુ પુણ્ય પ્રાપ્ત કરી શકાય છે.

આ એકાદશીના ઉપવાસ અને પૂજાના નિયમો અન્ય એકાદશીઓના સમાન છે. ફરક માત્ર એટલો છે કે આ દિવસે શાલિગ્રામની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ભગવાન શાલિગ્રામને સ્નાન વગેરે દ્વારા શુદ્ધ કરવું જોઈએ, પંચામૃતથી સ્નાન કરાવ્યા પછી ભોગ અર્પણ કરવો જોઈએ અને પૂજા કરવી જોઈએ અને આરતી કરવી જોઈએ. પછી પંચામૃત વહેંચીને બ્રાહ્મણોને ભોજન કરાવવું અને દક્ષિણા આપવી. આ દિવસે પૂજા અને પ્રસાદમાં તુલસીના પાન (તુલસીદલ)નો ઉપયોગ અનિવાર્યપણે કરવામાં આવે છે.


Related Posts

Load more